Tuesday, January 12, 2010

કાચો ઘડો


ગંગાના ત્રિવેણી ઘાટ ઉપર એક ગૂરૂકુળ હતું. સોમ શર્મા ગૂરૂકુળના આચાર્ય હતા. સોમ શર્મા મહા પંડિત હતા. એમને ત્યાં ઘણાં વિઘાર્થીઓ ભણવા આવતાં.પૂરેપૂરી વિદ્યા ભણી રહે ત્યાં સુઘી ત્યાં જ રહેતા. કાશીના રાજાએ પોતાના કુમારને પણ ભણવા મોકલ્યા.બઘા વિઘાર્થીઓ સાથે કુમાર રહે છે અને ભણે છે.એમ ભણતાં ભણતાં બેચાર વર્ષ વીતી ગયાં.કુમારની સામે બીજા વિઘાર્થીઓ ભણતા હતા. તે બઘા આગળ નીકળી ગયા. કુમાર પાછળ રહી ગયા.
તે પુરાણા સમયમાં વર્ગો નહોતા.પરીક્ષા પણ નહોતી લેવાતી. વિઘાર્થી પોતાના વિષયમાં પાકો થઇ જાય એટલે આગળ જાય.જેનો વિષય કાચો રહે તે પાછળ રહી જાય. કુમારે ગુરૂ સોમ શર્માને પ્રણામ કરીને કહ્યું, મારે એક વિનંતી કરવી છે. હું અભ્યાસમાં પાછળ રહી જાઉં છું.આપ મને તેનો ઉપાય બતાવો. ગુરૂએ કહ્યું,ઉપાય સરસ છે.જાઓ, કોરો ઘડો લઇ આવો. ઘડો લઇને ગંગાજીએ જાઓ.ગંગાજળ ભરીને લઇ આવો. કુમાર ગંગા કિનારે ગયા. ગંગાજળ ભરીને પાછો લાવ્યા ગુરૂએ કહ્યું, જુઓ,પેલા ખુણામાં બીજો એક ઘડો છે તે લઇ જાઓ,ભરીને પાછો લાવો. કુમાર ઘડો લઇને ગયા. ગંગાજળમાં બોળ્યો. બોળતાંની સાથે જ પલળી ગયો. ઘડો કાચી માટીનો હતો. પલળીને લોચો થઇ ગયો.ઓગળીને ગારો બની ગયો .કુમાર પાછા ગયા. ગુરૂએ પૂછ્યું, કેમ કુમાર ઘડો લઇ આવ્યા? કુમારે કહ્યું; ગુરૂદેવ; એ તો કાચી માટીનો ઘડો હતો. તે પલળતાં જ ઓગળીને લોચો થઇ ગયો. ગુરૂ શર્મા બોલ્યા,એનું કારણ એ કે માટીનો કાચો ઘડો પાણીને રોકી શકતો નથી. તેથી તેમાં પાણી ટકતું નથી પણ ઘડાનો નાશ કરે છે. તેમ કાચા મનથી વિદ્યા ભણો તે પણ મનમાં ટકતી નથી.ઘડા જેવું પાકું મન જોઇએ.પાકા મનથી વિદ્યા ભણો તો જ ટકી રહે. કુમાર વિચારમાં પડયા કે, કાચું મન એટલે શું? ગુરૂએ કહ્યું, કાચું મન એટલે ધ્યાન વિના ભણવું તે..એક ધ્યાન થઇને ભણવું તે પાકું મન ગણાય. જે ભણીએ તે ધ્યાનથી શીખીએ. બીજી કોઇ વાતમાં મન રાખીએ નહીં તો વિદ્યા ટકે છે. તમે એવું ધ્યાન રાખતા નથી અને ભણો છો. કુમાર સમજી ગયા. તે દિવસથી પૂરું ધ્યાન આપે અને ભણે છે. એકવાર ન આવડે તો બીજીવાર સમજે છે.આમ ભણવાથી થોડા મહિનામાં બઘાની સાથે થઇ ગયા.

- જીવરામ જોષી