Tuesday, January 12, 2010

આંધળાનો હાથી


કાશીની ઉત્તર દિશામાં એક સુંદર શહેર આવેલું છે. ખાધેપીધે સુખી છે. ખેડખેતરે પૂરું છે. નવાણ-નીરે છલકાતું છે. એમાં રહે છે સાત બુદ્ધિમાનો કાશીએ જઈને ભણી આવ્યા છે. વિદ્યામાં, વિવેકમાં, વિનયમાં એકબીજાને આંટે એવા છે! એકને જુઓ, બીજાને ભૂલો!
એકલી વિદ્યાથી ન ચાલે! વિદ્યાની સાથે વિવેક અને વિનય પણ ખરાં. ભણીએ પણ વિવેક ન જાણીએ તો એ નકામું. વિદ્યા ને વિવેક હોય, પણ વિનય ન હોય તો બેય નકામાં! જૂના વખતમાં એ ત્રણેય સાથે ભણે તે જ પંડિત ગણાય. લોકોને ખબર પડી કે કાશીએ જઈને ભણી આવેલા પંડિતો આવ્યા છે; એટલે સહુનો પડયો દરોડો. સહુ કહે કે અમને તમારી વિદ્યાનું સત્વ કરો. વિદ્યાનું સત્વ એટલે તારણ. દૂધને મેળવી દહીં કરીએ, ને દહીંને વલોવી છાશ જુદી કરી, માખણ તારવી લઈએ એનું નામ સત્વ. સાતે પંડિતો પોતપોતાની વિદ્યાનું સત્વ આપવા લાગ્યા.
પહેલો પંડિત કહે, "દુનિયામાં જ્ઞાન ઉત્તમ છે, જ્ઞાન વગરનું બધું નકામું. ખૂબ જ્ઞાન ભણો, તો જ માનવજીવનનું સાર્થક કરશો," બીજો પંડિત કહે, "જ્ઞાન તો ઠીક; પણ ક્રિયા મોટી ચીજ છે. મોંએથી પાણી પાણી બોલીએ, વળી જ્ઞાનથી આપણે જાણીએ કે પાણી પીધે તરસ છીપે, પણ જયાં સુધી પીવાની ક્રિયા ન કરીએ ત્યાં સુધી બધું નકામું- તળાવે જઈને તરસ્યા આવવા જેવું એ તો કહેવાય!"
ત્રીજો પંડિત કહે, "જ્ઞાન અને ક્રિયા તો ઠીક, પણ તપ મોટી ચીજ છે. કાયાને કષ્ટ ન આપો ત્યાં સુધી દુનિયામાં કંઈ કામ ન સરે." ચોથો પંડિત કહે, "જ્ઞાન, ક્રિયા ને તપ તો ઠીક, પણ જીવનમાં દયાભાવ રાખવો જોઈએ. કહ્યું છે ને, 'દયા ધરમકો મૂલ હૈ'."
પાંચમો પંડિત કહે," જ્ઞાન, ક્રિયા, તપ ને દયાભાવ તો ઠીક, પણ પહેલાં સંસારથી અળગા થઈ સંન્યાસ લેવો જોઈએ. દુનિયાદારી સાથે બહુ સંબંધ રાખો એટલે તો ફસાઈ જ પડો,"
છઠો પંડિત કહે, "એમ સંન્યાસ લઈ તમારે વન-જંગલમાં જવાની જરૂર નથી અરે, કહ્યું છે ને કે, 'સંસારસુ સરસો રહે ને મન મારી પાસ,' ભકિત કરતાં આવડવી જોઈએ. 'મન ચંગા તો કથરોટમાં ગંગા' ભકિત કરો તો જ બેડો પાર થાય."
સાતમો પંડિત કહે, "એ બધું ઠીક, પણ સેવાભાવ રાખો તો એમાં બધું આવી જાય. શાસ્ત્રમાં સેવાધર્મને જ પરમ ગહન કહ્યો છે." આમ મૂંડ મૂંડે જુદી મતિ થઈ! ગામના લોકો ભારે મૂંઝવણમાં પડયા એટલે ગયા રાજા પાસે. એ વેળાએ રાજા બહુ ડાહ્યો ને ચતુર. એણે પંડિતોને બોલાવ્યા, ને કહ્યું કે, ધરમમાં કે તત્વમાં હું કાંઈ ના સમજું વાદવિવાદ કરો ને સાચો કોણ નક્કી કરો. સહુથી શ્રેષ્ઠ ઠરે એ પંડિતને મારા રાજદરબારમાં રાજ પંડિતનું સિંહાસન ને વિદ્યાની મશાલ આપવી છે. એ વખતે સાતે પંડિતો હાથ જોડીને બોલ્યા, "રાજાજી! કહો તે રીતના વાદવિવાદ કરીએ. આપને રુચે તેની વાત માનો, પણ રાજદરબારમાં સિંહાસન મુકાય તો સાતેયનાં મુકાય; ન મુકાય તો એકેયનું નહી!" રાજા કહે, "એમ કે ? તો સાતમાં સાચું કોણ ?"
"સાચું માણસ ને સાચી માણસની માણસાઈ!" સાતે પંડિતોએ કહ્યું, "અમે લડવા ઝધડવા, એકબીજાને નીચા દેખાડવા વિદ્યા ભણ્યા નથી. આ તો અમે જે સમજ્યા એ ન કહીએ તો વિદ્યાના દ્રોહી ઠરીએ. બાકી ધરમ કે તત્વને નામે અમારે કુસંપ કરવા નથી. દુનિયામાં કુસંપથી મોટો કોઈ અધર્મ છે જ નહીં." રાજાએ તો સાતે પંડિતોને પોતાની સભામાં સિંહાસન દીધાં, બધા મતને સરખા ગણ્યા.
એ વાતને એક જમાનો વીતી ગયો. સાથે પંડિતો કાળક્રમે ગુજરી ગયા. રાજા પણ કંઈ અમરપટો લખાવીને આવ્યો નહોતો. નવો રાજા આવ્યો, નવી પ્રજા આવી. સાત પંડિતો ગયા ને સાતે પંડિતોના પુત્રો આવ્યા. એ પણ ખૂબ ભણીગણીને હોશિયાર થઈ આવ્યા- બાપથી સવાયા!
જૂનો રાજા સહૃદય હતો. નવો રાજા બુદ્ધિમાન હતો. બુદ્ધિ અને હૃદય વચ્ચે ઘણો ફેર છે. નવા રાજાને વિચાર થયો કે સાત પંડિતોના સાત સિંહાસનો દરબારમાં ખૂબજ જગ્યા રોકે છે. ઘરડા માણસોને સાદાસીધા એટલે ન સમજે, બાકીતો સાતેમાં જે શ્રેષ્ઠ હોય તેને સિંહાસન આપવું. તેને વર્ષાસન આપવું, તેને રાજગુરુનું પદ આપવું, રાજાએ પંડિતોને નોતર્યા ને કહ્યું કે તમારા સાતમાં કોણ શ્રેષ્ઠ તે નક્કી કરો. જે શ્રેષ્ઠ ઠરશે તેને રાજગુરુનું સિંહાસન મળશે.
સાતે પંડિતપુત્રો મંડ્યા શાસ્ત્રાર્થ કરવા, ચર્ચા કરવા. એ માત્ર વિદ્યા ભણ્યા હતા, અને વિદ્યા તો વાંદરાના હાથમાં આપેલી તલવાર જેવી છે! શત્રુને પણ સંહારે, મિત્રને પણ મારે!
એક પંડિત કહે,"જ્ઞાન સાચું."
બીજો કહે,"ક્રિયા સાચી! મારી ક્રિયા પાસે તારું જ્ઞાન ધૂડ, "
ત્રીજો કહે, "જ્ઞાન ક્રિયાને શું કરવા છે? જીવમાં દયાભાવ જગાડો."
ચોથો કહે, "તપ-જપ એ જ સાચું; તે સિવાય બધુ નકામું."
પાંચમો કહે, "એ તો માથું મુંડાવો ને સંન્યાસી બનો તો સાચું સૂઝે."
છઠ્ઠો કહે, " ભકિત પદારથ ભૂતલમાં સાચો. માટે ભકિત કરો."
સાતમો કહે, " સેવા કરો ભાઈ, સેવા ! તો મળે મેવા!"
આમ સાતે પંડિતોમાં 'તું તું ને મેં મેં' થઈ રહ્યું. ક્યાં બાપ ને કયાં બેટા! વિવેક અને વિનય વિનાની વિદ્યા તે આનું નામ! હવે તો ગદ્ધાપૂંછ પકડયા જેવી વાત થઈ: ન મુકાય, ન લેવાય! પછી તો દુનિયામાં બને છે તેમ, બધા કેશંકેશા, લોચંલોચા, મુષ્ટંમુષ્ટા, પાટંપાટા, બાથંબાથા આવી ગયા! સાતેય એવા લડ્યા, એવા આખડ્યા કે દિવસો ઉપર દિવસો વીતી ગયા, પણ, કંઈ નક્કી ન થયું; અને ઉલટો પાડાખાર વધી પડયો.
આખરે રાજા કહે, "હવે તો તમે હદ કરી! તમે તમારે ઘેર જાઓ ને ત્યાં બેસી ચર્ચા કરો. નિર્ણય કરીને પછી રાજસભામાં આવજો."
પંડિતો ઘેર આવ્યા. વાદવિવાદ તો ચાલુ જ હતો. લોકોને તો તમાશો થયો. તમાશાને કંઈ તેડાં હોય? લોકો ખૂબ એકઠા થવા લાગ્યા. લોકોનાં ટોળાં જોયાં, એમ પંડિતોને શૂરાતન વ્યાપ્યું. ઘર રણમેદાન બની ગયું. પછી શેરીની મોકળાશમાં બેસીને તેઓ ચર્ચા કરવા લાગ્યા. પછી મહોલ્લામાં બેસી ગાજવા લાગ્યા.
ખરેખરી હરીફાઈ જામી. જ્ઞાનવાદી પંડિતે તો બેચાર પૈસાદરને સાધ્યા. એ બિચારા તો ઉઠાં સુધી ભણેલા. પણ કીર્તિ કોને વહાલી નથી? પંડિતે તેમને વખાણવા માંડ્યા. એ તો ફૂલાયા, એમણે ખૂબ ખર્ચ કરીને મોટું ભવન બાંધ્યું; સરસ્વતીની મૂર્તિ મૂકી, પૂજા શરૂ કરી. બીજા પંડિતે બીજા શ્રીમંતને સાધ્યા. એની મદદથી મોટું ભવન બાંધ્યું ને શક્તિની મૂર્તિ મૂકી. ભોગ, વૈભવ વહેંચવા માંડયા. ત્રીજાએ વળી સદાવ્રત ખોલ્યું. આખો દિવસ ભિખારાંને સાધુ-બાવાઓથી સદાવ્રત ગાજી રહ્યું. ચોથાએ સંન્યાસીઓની ટુકડી ખડી કરી. એમ સહુએ પોતાનાં જુદાં ભવન, જુદાં શાસ્ત્ર, જુદી મૂર્તિઓ બનાવી. સહુએ એકબીજાથી જુદા પડવા માટે કપડાં બદલ્યાં. કોઇએ વળી કપાળમાં નવાં નવાં ચિહ્નો કર્યા. દુનિયા તો એવી છે, કે ઝુકાવનાર હોય તો ઝુકનાર મળી જ રહે. સહુને પોતપોતાના ભક્તો મળી રહ્યા. વાત મમતની હતી. મમતે ચઢેલો માનવી સોનાની જાળને પણ પાણીમાં નાંખે, કરોડની વસ્તુ કોડીના ભાવે આપી દે, કોડીની ચીજ કરોડમાં ખરીદે. મમત ભારે બૂરી ચીજ છે! મમત વાળો માને છે કે, "મારૂં એ સાચું." પણ 'સાચું એ મારૂં' એમ માનતો નથી. આજ સુધી ગામ એક સંપીલું હતું, એમાં સાત ભાગલાં પડ્યા. એક ભાગ બીજા ભાગને દરેક વાતને હલકો પાડવા મહેનત કરવા લાગ્યો. વાદવિવાદમાંથી લડાઇઓ જાગી, આડંબરો વધવા લાગ્યા. ઇર્ષ્યા વધવા લાગી, એકબીજાનાં છિદ્રો શોધાવા લાગ્યાં.
એકનાં ભજનભાવમાં બીજો જઇને સાપ નાખી આવે. એકના સદાવ્રતમાં બીજો જઇને છાનોમાનો મીંઢીઆવળ નાખી આવે, કે જેથી બિચારા ખાનારને ઝાડા થાય. એક જણ એક જમણ કરે તો બીજો ત્રણ-ચાર જમણ કરે; ત્રીજો વળી બાર કરે, કોઇને નાના બાપના થવું ન ગમે! જેની પાસે કંઇ ન હોય એ કહે કે, આ જમણ જમવાં પાપ છે. બધા નરકે જવાના ધંધા! અરે, ખાધે તે કલ્યાણ થતાં હશે! ઉપવાસ કરો, વ્રત કરો, વરતોલાં કરો. સારાંશમાં, એકની સાચી વાતને પણ બીજો જૂઠી ઠરાવે. એકવાર તો મામલો એટલો બધો તંગ બન્યો કે ક્રિયાવાદી પંડિતના જૂથે આવેશમાં અંધ બની જ્ઞાનવાદી પંડિતના જૂથના માથાં કાપ્યાં. જ્ઞાનવાદી પંડિતો કહેવા લાગ્યા કે, આ રીતે મરનારા સીધા સ્વર્ગમાં જશે. આ તો ધર્મ માટે મૃત્યુ! ખૂબ ઉત્તમ! ધન્ય ઘડી! ધન્ય ભાગ્ય! રાજાને આ વાતની ખબર પડી એટલે એણે સાતે પંડિતોને બોલાવ્યા; આંખ લાલચોળ કરીને તેમને હુકમ કર્યો, "મારી હાજરી સિવાય અને રાજદરબાર સિવાય તમારે ક્યાંય ચર્ચા ન કરવી; કરશે એને કાંધ મારીશ." પંડિતો આકાશના રાજા કરતાં પૃથ્વીના રાજાથી વધુ ડરનારા હતા. હવે પંડિતોને મોઢે તાળાં વસાયાં. મરવાની બીકે એમની બોબડી બંધ થઇ ગઇ. જે મત ખાતર મરીને શિષ્યો સ્વર્ગમાં ગયા, એ મત ખાતર મરીને સ્વર્ગે જવું એમને ન ગમ્યું. 'પરોપદેશે પાંડિત્ય' તે આનું નામ! રાજાની આંખ લાલ અને રાજાના કડક હુકમથી પંડિતોને જરા અપમાન જેવું લાગ્યું. અરે! આપણે તો રાજાના ગુરૂ! છતાં રાજા આપણને હુકમ કરે? ધમકાવે? એકે રાજાના હુકમ સામે માથું ઉંચક્યું તો બીજો પંડિત રાજાને વહાલો થવા ગયો. બીજો ગયો ત્યાં ત્રીજો દોડ્યો. કોઈ રાજાને, તો કોઈ મંત્રીને, કોઈ દીવાનને તો કોઈ કોટવાળને ધર્મભક્તિને નામે પોતાનાં પક્ષમાં લેવા દોડાદોડ કરવા લાગ્યા. રાજાને જાણ થઇ, એટલે તેણે કહ્યું, "શું તમારો મોટાઇનો ઝઘડો રાજદરબારમાં ઘાલવો છે? હું તો માનતો હતો કે ભલે સાત સરવાણી હોય, પણ છે તે એક ગંગાજીની જ ને! પણ આ તો તમે ભૂંડની જેમ ખાબોચિયાં ઉલેચવા માંડ્યાં છે! આજથી તમારાં સાતે સિંહાસન દરબારમાંથી રદ કરૂં છું." લાખના પંડિતો ટકાના ત્રણ શેર થઇ ગયા. હવે એમની આંખો ખૂલી, પણ આ તો ગદ્ધાપૂંછ! ઝાલ્યું કેમ છૂટે? બનવાકાળ કે એ ગામમાં એક મહાજ્ઞાની ગુરૂ પધાર્યા. જંગલમાં રહે, સહેજમાં મળે તો ખાય. આખો દિવસ ધ્યાનમાં મસ્ત રહે. બધા પંડિતો જુદા જુદા એ ગુરૂ પાસે પહોંચ્યાં. એમના મનમાં એમ કે ગુરૂ પાસે પોતાનો મત સાચો ઠેરવી લઇએ, પછી જોઇ લેવાશે ! રાજા પણ પંડિતોના ઝઘડાથી કંટાળ્યો હતો. એ પણ ગુરૂ પાસે પહોંચ્યો. ગામલોકોએ રોજના લેવા-દેવા વગરના આ ઝઘડાથી કંટાળ્યા હતા. તેઓ પણ ત્યાં આવ્યા. પંડિતોએ, રાજાએ, લોકોએ ગુરુને પ્રશ્ર્ન પૂછયો, હે ગુરુદેવ' આ બઘામાં કયા પંડિતનો મત સાચો છે?" ગુરુજી જાણકાર હતા. એમણે ન શાસ્ત્ર કાઢ્યાં, ન વિવાદ કર્યા. સામાન્ય વાત કરતા હોય તેમ કહ્યું," તમારા ગામમાં અંઘ માણસો કેટલા છે?" લોકો કહે, "સાત જણા તો સાવ જન્મથી અંઘ છે, બાકી કોઇ રોગથી, કોઇ અકસ્માતથી, કોઇ મારામારીથી-એમ અંઘ થયેલાંનો તો સુમાર નથી." ગુરુ કહે, "એ સાતે જન્માંધોને બોલાવો." રાજાનો હુકમ છૂટયો એટલે થોડીવારમાં સાતે આંધળા હાજર થયા. ગુરુજીએ કહ્યું, રાજાજી, ગજશાળામાંથી એક હાથી મંગાવો." તરત જ હાથી આવ્યો. હાથી આવ્યો એટલે ગુરુએ જન્માંધોને પૂછયું, "ભાઇઓ, તમે હાથી જોયો છે?" અંધો કહે, અમે તો જન્મથી અંધ છીએ, હાથી કયાંથી જોયો હોય?" ગુરુ કહે "એના વિશે સાંભળ્યું છે?" આંધળા કહે, ના, બાપજી !" ગુરુ કહે, "ચાલો ત્યારે, તમને બતાવું, પછી તેઓ એક અંધને હાથીની સૂંઢ પાસે લઇ ગયા. કહ્યું કે, આ હાથી છે, એને અડો. બીજાને પગ પાસે લઇ જઇને ઉભો રાખ્યો. ત્રીજાને પૂંછડા પાસે, ચોથાને કાન પાસે, પાંચમાને દંતશૂળ પાસે, છઠ્ઠાને પેટ પાસે ને સાતમાને ગંડસ્થળ પાસે ઉભો રાખીને કહ્યું કે, હાથીને બરાબર જોઇ તપાસી લો."
થોડીવારે ગુરુએ પૂછ્યું, "કહો ભાઇઓ ! હાથી કેવો?" સૂંઢ ઝાલનાર અંધ કહે, ગુરુજી ! હાથી અજગર જેવો છે."
ત્યાં તો પૂંછડું ઝાલનાર અંધ કહે," અજગર જેવો તો નહીં, પણ દોરડા જેવો છે." ત્યાં તો કાન ઝાલનારે કહ્યું,"અલ્યા આંખોના આંધળા તો છો, સાથે અક્કલના પણ અંધ છો? હાથી તો ચોખ્ખો સૂપડા જેવો છે." ત્યાં તો ગંડસ્થળ પર બેઠેલો નીચે કૂદ્યો ને ઝનૂનમાં બોલ્યો, "ઓ મૂર્ખાઓ, હાથી તો માટલા જેવો છો." ત્યાં તો પેલો પેટવાળો અંધ બરાડી ઉઠયો. કહે, "અરરર! તમારા બધાનું ખસી ગયું લાગે છે. હાથી તો ખાસ્સો મશક જેવો છે." તો પેલો પગ ઝાલનારો અંધ કહે, " તમારા બધાની આંખ સાથે અક્કલ પણ ફૂટી ગઇ લાગે છે. હાથી તો થાંભલા જેવો છે." ત્યાં તો પેલો દંતશૂળ ઝાલનારો કહે, "ફૂટી તો આપણા બધાની ગઇ છે, બાકી મેં પાકી ખાતરી કરી છે, કે હાથી લાકડા જેવો છે." બધાને લાગ્યું કે ગુરુએ તો વળી નવો ઝઘડો ખડો કર્યો ! એક તો ઝઘડો હતો જ, ત્યાં આ બીજો જાગ્યો ! પણ ના, એ તો સમજાવવાની નવી રીત હતી. એ તો આડે લાકડે આડો વેહ ! સાચા ગુરુની ખૂબી જ એ છે ! સાતે આંધળા લડવા માંડયા, એટલે ગુરુએ સહુને શાંત પાડતાં કહ્યું," તમારા રાજા તમને કહેશે કે હાથી કેવો છે." રાજા કહે, "હાથી સૂપડાંના જેવા કાનવાળો, સાપના જેવી સૂંઢવાળો, દોરીના જેવા પૂંછવાળો, માટલા જેવા ગંડસ્થળવાળો, મશક જેવા પેટવાળો, થાંભલાના જેવા પગવાળો ને લાકડાંના જેવા દંતશૂળવાળો છે." બધા આંધળા એકદમ બોલી ઉઠ્યા,"તો અમે શું હાથીનું એક-એક અંગ ઝાલ્યું હતું? તો પછી અમારી સાતેની વાતો અમૂક અંશે સાચી હતી ને અમૂક અંશે ખોટી હતી? શું અમે નાહકના ઝઘડ્યા?" આમ આંધળાઓ અફસોસ કરવા લાગ્યા ત્યારે ગુરૂ બોલ્યા, "ભાઇઓ! તમે તો અંધ છો, તમને જોવા આંખો નથી; પણ જેઓને જોવા માટે કુદરતે દીવા જેવી આંખો આપી છે, તેઓ જ્યારે મોટાઈથી અંધ બનીને લડે છે ત્યારે કોને દેખતા કહેવા ને કોને આંધળા કહેવા એની ભારે વિમાસણ થઇ જાય છે." વાહ ગુરૂ વાહ,! ખરું સમસ્યામાં સમજાયું. પંડિતો આખરે તો જ્ઞાની હતા ને! તેઓ પોતાની ભુલ સમજ્યા, પણ તે કેવા? વાઢો તો લોહી ન નીકળે! તેઓ ગુરૂના ચરણમાં પડ્યા ને બોલ્યા, "અમે પણ છતી આંખે આંધળા બન્યા, છતી અક્કલે મૂર્ખ બન્યા. છતે જ્ઞાને અજ્ઞાની બન્યા, માણસાઈરૂપી આખા હાથીને જ વિસરી ગયા, ને પૂંછ કે પગ ઝાલી મંડ્યા લડવા-ઝઘડવા. જ્યાં ઝઘડો ત્યાં ધર્મ નથી, એ અમે ન સમજ્યા." ગુરૂ કહે, "ભાઇઓ ડાહ્યા ભૂલે ત્યારે આખી ભીંત ભૂલે. ભલે તમને સૂઝે તે દેશકાળને અનુસરતા તમારા મત સ્થાપો, પણ માણસાઇરૂપી હાથીને કદી ન ભૂલશો. કોઇ એક અંગમાં જ્ઞાન પણ સાચું છે, ક્રિયા પણ સાચી છે, તપ, સદાવ્રત સેવાને સંન્યાસ પણ સાચા છે. છતાં એ વાત ન ભૂલશો કે એ બધાં માણસાઈના અંગ છે. માણસાઈમાં એ બધું આવી જાય. માણસાઈ જાય ત્યાંથી એ બધું જાય." બધા પોતાની ભૂલ સમજ્યા, ને બગડેલી બાજી સુધારવા લાગી ગયા.

- જયભિખ્ખુ