Tuesday, January 12, 2010

અખરોટની બરણી


બગદાદ શહેરમાં અલી કોજિયા નામનો એક વેપારી રહેતો હતો. તે એકલદોકલ આદમી હતો તેને એક નાનકડી દુકાન હતી, ને તેનો વેપાર ઠીકઠાક ચાલતો હતો. તેમાંથી તે સારું કમાતો હતો તે સંતોષથી રહેતો હતો. એક રાતે તેને સ્વપ્નુ આવ્યુ. સ્વપ્નમાં એક ફકીર દેખાયો. ફકીરે કહ્યું, અલી; તે બહું ધંધોંધાપો કર્યો; હવે તો તારી પાછલી અવસ્થા છે: માટે મક્કા શરીફની હજ કરવા જા! અલીને સ્વપ્નમાં આ વાત સાચી લાગી, પણ સવાર થતાં તે વેપારમાં પડ્યો ને સ્વપ્નાની વાત ભૂલી ગયો. બીજી રાતે તેને ફરી સ્વપ્નુ આવ્યું. ફરી પેલા ફકીરે કહ્યું; અલી, તું એકલ દોકલ છે, પાછળ તારે કાંઇ ચિંતા કરવા જેવું નથી, માટે મક્કા શરીફની હજ કરવા જા!
અલીએ સ્વપ્નામાં તેમ કરવા નક્કી કર્યું, પણ સવાર થતાં સ્વપ્નાની વાત તે ભૂલી ગયો. ત્રીજી રાતે વળી તેને સ્વપ્નું આવ્યું. ફકીરે કહ્યું: અલી, ધંધાનો-માયાનો મોહ તું છોડી શકતો નથી પણ અંતકાળે એ કોઇ કામ નહીં આવે. હવે તુ પુણ્ય ભેગુ કરવા માંડ ને તે માટે મક્કા શરીફની હજ કરવા જા!
આ વખતે તો અલીએ મનમાં પાકી ગાંઠ વાળી કે, બીજે દિવસે જ હજ કરવા ઉપડવું. સવાર થતાં તે દુકાને ગયો ને ચોપડા તપાસી તેણે બધી લેવડદેવડ પતાવી નાખી પછી દુકાનનો માલ વેચી તેની મૂડી કરી લીધી. જે થોડો ઘણો માલ વેચાયા વિનાનો રહ્યો તે તેણે સાથે લઇ જવાનો નિશ્ચય કર્યો. હવે સવાલ રહ્યો માત્ર મૂડીનો. મૂડીમાં તેની પાસે એક હજાર સોનામહોરો હતી. પ્રવાસમાં તો એ સાથે લઇ જવાય નહીં, તો ક્યાં રાખવી? કેવી રીતે રાખવી?
બહુ બહુ વિચાર કર્યો ત્યારે તેને એક ઉપાય સૂઝી આવ્યો તે મુજબ તેને મહોરો બરણીમાં મૂકીને તે ઉપર અખરોટ ભરી દીધા.પછી એ બરણી બરાબર બંધ કરીને પોતાના એક શાહુકાર મિત્રને ઘેર ગયો. જઇને શાહુકારને તેણે કહ્યું: મિત્ર મારું એક કામ કરશો? હું મક્કા શરીફની હજ કરવા જાઉં છું. પાછો આવું ત્યાં સુધી આ અખરોટની બરણી તમારે ત્યાં રાખશો? શાહુકારે કહ્યું: વાહ, એમાં શું? લો આ ચાવી ને વખાર ઉઘાડીને તમારી મેળે જ એને મૂકી આવો.
આમ કહીને તેણે અલીને વખારની ચાવી આપી. અલી એ વખાર ઉઘાડી એક ખૂણામાં પોતાની બરણી મૂકી દીધી. પછી ચાવી શાહુકારને આપી પોતે ઘેર ગયો ને તે જ રાતે એક ઉંટ ભારે કરી હજ કરવા ઉપડી ગયો.
મક્કા જઇ અલી બધાં તીર્થસ્થાનોમાં ફર્યો ને નમાજ પઢ્યો. બીજી ધાર્મિક વિધિ કરી પોતાની સ્થિતિ પ્રમાણે ગરીબગુરબાને ખેરાત પણ કરી. એ બધું કર્યા પછી અલી બજારમાં ગયો ને પોતાની સાથે જે માલ સામાન લાવ્યો હતો તે વેચવા બેઠો. બજારમાં દેશદેશાવરના વેપારીઓ માલ વેચવા આવ્યા હતાં. તેમાંથી કોઇકે આ માલ જોઇને કહ્યું: માલ ઘણો સરસ છે. કેરોમાં જઇ ને વેચો તો આની ઘણી સારી કિંમત ઉપજશે.
આ શબ્દો સાંભળતાં જ અલીનો વેપારી જીવ લલચાયો. તરત તેણેં એક ઉંટ ભાડે કર્યું, ને તે ઉપર માલ ભરી તે કેરો જવા ઉપડ્યો. કેરોમાં એને એના માલની સારી કિંમત ઉપજી. પણ ત્યાં વળી તેના જાણવામાં આવ્યું કે, કેરોના માલના નાણાં જેરૂસલેમમાં સારાં ઉપજે છે. તેથી તે માલ ભરી જેરૂસલેમ ગયો. ત્યાં સારો નફો થવાથી અલીનું મન હવે વેપારને ચસકે ચડ્યું. એટલે માલ ખરીદતો ને વેચતો. તે દમાસ્કસ, મોસલ, ઇસ્પહાન વગેરે અનેક શહેરોમાં ફર્યો. ફરતો-ફરતો તે છેક હિંદુસ્તાન પહોંચી ગયો. આમ પ્રવાસમાં તેને સાત વર્ષ વીતી ગયાં. સાત વર્ષ વીતતાં આ તરફ પેલો શાહુકાર પણ બરણીની વાત ભૂલી ગયો હતો. એવામાં એક દિવસ વાળું કરવા બેસતી વખતે તેની સ્ત્રીને અખરોટ ખાવાનું મન થયું.
શાહુકારે કહ્યું: અત્યારે રાતે અખરોટ ક્યાંથી મળે?
સ્ત્રીએ મશ્કરી કરી: બસ? તમે તો કહેતા હતાં કે તારે ખાતર સર્વ કાંઇ કરવા તૈયાર છું, ને આજે બે અખરોટે નથી લાવી દઇ શકતાં?
એકદમ શાહુકારને યાદ આવ્યું કે અલી કોજિયા પોતાની વખારમાં અખરોટની બરણી મૂકી ગયો છે. તરત આનંદમાં આવી જઇ તેણે કહ્યું: અરે હા, યાદ આવ્યું. વખારમાં અખરોટની આખી બરણી પડી છે. પેલો અલી કોજિયા મક્કા હજ કરવા ગયો ત્યારે મૂકી ગયો છે. રહે, હમણાં તને થોડા લાવી દઉં છું. સ્ત્રીએ કહ્યું: ના, ના, ના, એવું ન કરશો! એ તમારા વિશ્વાસે બરણી મૂકી ગયો છે તો આ પારકી થાપણમાં હાથ ન ઘાલશો! એ તો ચોખ્ખો વિશ્વાસઘાત કહેવાય! શાહુકારે કહ્યુ :અરે, એમાં શું થઇ ગયું? એ ક્યાં સોનુંરૂપું છે? એ તો માત્ર અખરોટ છે! અને અલી કોજિયાને ગયે આજે સાત વરસ થઇ ગયાં, છતાં નથી એના ખબરઅંતર! વખતે એ મરી પણ ગયો હશે! આમ કહી એ ચાવીને દીવો લઇ ને વખારમાં ગયો. વખારમાં બરણી એક ખૂણામાં પડી હતી. શાહુકારે તે ખોલીને ઉપરથી મૂઠો ભરીને અખરોટ લીધાં, પણ તે સડી ગયેલા માલૂમ પડ્યા. શાહુકારને થયું કે નીચેના અખરોટ કદાચ સારાં હશે. તેથી તેણે ઉપરના અખરોટ બહાર કાઢી નાંખી નીચેના અખરોટ લેવા હાથ નાંખ્યો તો અખરોટને ઠેકાણે તેના હાથમાં સોનામહોરો આવી.
હં, હવે હું સમજ્યો કે એ કેમ અખરોટની બરણી મારા ઘરમાં મૂકી ગયો! તે મનમાં બોલ્યો. તરત તેણે બરણી ઉંધી વાળીતો પૂરી એકહજાર સોનામહોરો તેમાંથી નિકળી!
તે જોતાં તેના લોભનો કીડો સળવળ્યો ને તેને વિચાર આવ્યો: અલી હવે આવી રહ્યો! એ તો ક્યારનો મરી ગયો હશે! અને આવશે તો અખરોટની બરણી એને પધરાવી દઇશ. આમ વિચારી તેણે મહોરો ઘરમાં વગે કરી દીધી. પછી બીજે દિવસે બજારમાંથી નવા અખરોટ લાવી મહોરોની ખાલી પડેલી જગ્યાએ બરણીમાં ભરી દીધાં ને બરણી હતી એમ બરાબર ગોઠવી દીધી. તેની સ્ત્રીને એ વિષે કંઇ ખબર ન પડવા દીધી.
આ બનાવ પછી લગભગ એક મહિને પોતાનો પ્રવાસ પૂરો કરીને અલી કોજિયો પાછો બગદાદમાં આવ્યો. આવીને પોતાનું ઘર ઠીકઠાક કરીને તે પોતાની મૂડી સંભાળવા શાહુકારને ઘેર ગયો. શાહુકારે તેને જોતાં જ કહ્યું: ઓહો, તમે આવી ગયા? બહું સારું થયું! મને ચિંતા થતી હતી કે અલીને તે થયું શું? લો ચાવી ને તમારી મેળે વખાર ઉઘાડી બરણી લઇ લો! તમે એ જ્યાં મૂકી હશે ત્યાં જ પડી હશે.
અલીએ વખાર ઉઘાડીને જોયું તો બરણી પોતે જ્યાં મૂકી હતી ત્યાં જ પડી હતી. જરાયે આઘીપાછી થઇ નહોતી. તેથી સંતોષ પામી, બરણી લઇ શાહુકારનો આભાર માની તે ઘરે ગયો. ઘેર જઇ તેણે હોંશેહોંશે બરણી ઉઘાડી. મહોરો કાઢવા અંદર હાથ નાખ્યો, તો તેના હાથમાં અખરોટ આવ્યાં. ફરી વધારે ઉડોં હાથ નાખ્યો, તો ફરી પણ અખરોટ આવ્યાં. બરણી ઉંધી વાળી તો તેમાંથી કેવળ અખરોટ જ નીકળ્યા! આ જોઇ ને તે આભો બની ગયો. જોરથી તે બોલી ઉઠ્યો: અરે,આ શું? જેને મેં પૈસાપાત્ર ને વિશ્વાસુ માન્યો તે જ આમ દગાખોર નીકળ્યો? તે દોડતો શાહુકારને ત્યાં ગયો. શાહુકાર આ વખતે દુકાને જ બેઠો હતો.
ધીમે રહીને અલીએ તેને કહ્યું: દોસ્ત, મહોરો વાપરી તો મને જરા કહેવું તો હતું? હશે, એમાં મને કંઇ વાંધો નથી. તમારી સગવડે એ ભરપાઇ કરી આપજો. અત્યારે ફક્ત મને એની પહોંચ લખી આપો.
શાહુકારે કહ્યુ: શાની મહોરો? શાની પહોંચ? મને આ વાતમાં કાંઇ સમજ પડતી નથી.
અલીએ મક્કમતાથી કહ્યું: તમે મારી અખરોટની બરણીમાંથી એકહજાર સોનામહોરો કાઢી લીધી છે તેની હું વાત કરું છું. શાહુકારે ચિડાઇને પૂછ્યું: અલી મિયાં, તમે મારે ત્યાં શાની બરણી મૂકી ગયા હતાં? અલીએ કહ્યું: અખરોટની, પણ તેમાં મે એકહજાર સોનામહોરો મૂકી હતી.
શાહુકારે કહ્યું: મને એ દેખાડી હતી? ના. મને એ વિષે કંઇ કહ્યું હતું? ના. તો કેવી રીતે મૂકી હતી? ક્યારે મૂકી હતી? કોને કહી મૂકી હતી? હાજી મિયાં, તમે આમ ગળે પડશો એની મને કલ્પનાયે નહોતી.
અલીએ કહ્યું: દોસ્ત, હું સાચું કહું છું કે હું તમારે ત્યાં અખરોટની બરણી મૂકી ગયો હતો, તેમાં મારી એકહજાર સોનામહોરો હતી.
હતી! હતી તો પૂછો બરણીને! હું શું જાણું? મેં બરણી લીધી નથી. તમે મને મહોરો દેખાડી નથી. એ વિષે કંઇ કહ્યું પણ નથી. તમે તમારી મેળે બરણી વખારમાં મૂકી છે ને તમારી ,મેળે એ લીધી છે. સાત વરસ પછીયે એ આઘીપાછી થઇ હોય તો કહો! સારું છે કે બરણીમાં હીરામોતી હતા, એમ તમે નથી કહેતા! વાહ ભાઇ વાહ! હજ કરીને આ ઠીક શીખી લાવ્યા! આ છેલ્લા શબ્દો શાહુકાર એટલા જોરથી બોલ્યો કે તે સાંભળી આસપાસની દુકાનોવાળા શું છે? શું છે? કહેતા ભેગા થઇ ગયા. શાહુકારે તેમને કહ્યું: આ ભાઇ મારી વખારમાં અખરોટની બરણી મૂકી ગયા હતા. ચાવી લઇને જાતે મૂકી હતી ને આજે જાતે લીધી છે. ને હવે કહે છે કે એ તો મહોરોની બરણી હતી! લોકોએ પૂછ્યું: હેં મિયા, તમે શાની બરણી મૂકી ગયા હતા? અલીએ કહ્યું: અખરોટની, પણ એમાં મારી એક હજાર સોનામહોરો હતી.
તમે એ મહોરો એને દેખાડી હતી?
ના. એ વિષે કાંઇ વાત કરી હતી? તો શી ખાતરી કે બરણીમાં મહોરો હતી?
અલી તેમને સંતોષ થાય એવા જવાબ ન આપી શક્યો એટલે એ બધા હસવા માંડ્યાને કહેવા લાગ્યા: અલી, તારી વાત માન્યામાં નથી આવતી!
હવે અલી ખિજાયો. ખિજાતાં તે જોરથી બોલી ઉઠ્યો: હું ખુદાના કસમ ખાઇને કહું છું કે મારી બરણીમાં એકહજાર સોનામહોરો હતી. ભલે તમે કાંઇ ના માનો! હું કચેરીમાં જઇ કાજી પાસે આનો ન્યાય કરાવીશ.
શાહુકાર હવે જોરમાં આવી ગયો હતો. તેણે કહ્યું: અત્યારે જ જા! કચેરીનાં બારણાં ઉઘાડાં છે.
ધૂંધવાતો ધૂંધવાતો અલી કચેરીમાં ગયો. જઇ ને કાજી પાસે ફરિયાદ નોંધાવી. કાજીએ તરત શાહુકારને બોલાવી મંગાવ્યો.
શાહુકારે પોતાના બચાવમાં કહ્યું: મે બરણી જોઇ નથી. મે લીધી નથી. અંદર શું હતું ને શું નહીં તેની ખબર નથી. અલી એ આવીને મને કહ્યું: આટલી અખરોટની બરણી તમારે ત્યાં રાખશોં? મેં કહ્યું: લો આ ચાવી તમારી મેળે મૂકી આવો, પછી બરણી અલીએ જાતે વખારમાં મૂકીને જાતે ત્યાંથી લીધી છે. સાત વરસના ગાળામાં કોઇએ બરણી ઉઘાડી નથી કે જરા પણ આઘીપાછી થઇ નથી. પછી અલીને કાજીએ પુછ્યું: તે શાહુકારને બરણી આપી ત્યારે કોઇ હજર હતું? અલી એ કહ્યું: જી ના, કોઇ હાજર ન હતું. કાજીએ ફરી પૂછ્યું: હં બોલો ત્યારે કોની રૂબરૂમાં બરણીમાં સોના મહોરો મૂકી હતી ને કોની રૂબરૂમાં બરણી ઉઘાડી હતી? અલીએ કહ્યું: કાજી સાહેબ, એ કોઇ વાતના મારી પાસે સાક્ષી નથી. કારણ કે આ શાહુકાર મારો જૂનો મિત્ર છે તેથી મે વિશ્વાસ રાખેલો, એ મને દગો નહીં દે! કાજીએ કહ્યું: થયું, ત્યારે હું આ બાબતમાં શાહુકારને ગુનેગાર ઠરાવી શકતો નથી.
અલી એ કહ્યું:જી હું સાવ સાચું બોલું છું. હું હજ કરીને આવેલો છું, મારી મહોરો આ શાહુકારે કાઢી લીધી ન હોય તો જાય ક્યાં?
કાજી એ કહ્યું: પણ તમારી પાસે કોઇ સાક્ષીપુરાવો તો છે નહીં! શું થાય?
નિરાશ થઇ અલી ઘેર ગયો. પણ તે જ દિવસે સાંજે બાદશાહ હારુન અલી રસીદની પાસે જઇ દાદ માંગવાનું નક્કી કર્યુ તે માટે બાદશાહ જે મસીદમાં નમાઝ પઢવા જતા હતા તેને દરવાજે જઇને ઉભો.પછી બાદશાહ નમાઝ પઢીને જેવા મસીદની બહાર નીકળ્યા કે તરત અલી તેમના હાથમાં અરજીનો કાગળ મૂકી તેમના પગમાં આળોટી પડ્યો. બાદશાહે તેની અરજી વાંચી! તેને બીજે દિવસે દરબારમાં આવવાનુ કહ્યું.
આખી રાત અલી આખા દિવસના બનાવનો શોક કરતો ઘરની ઓસરીમાં બેસી રહ્યો. આ બાજુ બાદશાહ અને તેનો વડો વજીર વેશપલટો કરીને રાતે નગરચર્યા જોવા નીકળ્યા. ફરતા-ફરતા તેઓ એક મહોલ્લામાં આવી પહોંચ્યા. મહોલ્લામાં થોડા છોકરા ટોળે વળ્યા હતા ને થોડા નાટક ભજવતા હતા. આ નાટક અલી કોજિયા અને શાહુકારના કિસ્સા પરથી બનાવેલું હતું. આ કિસ્સો આખા બગદાદ શહેરમાં ચર્ચાનો વિષય થઇ પડ્યો હતો. અને બાળકો ઉપર પણ તેની ઉંડી અસર થવા પામી હતી. બાદશાહ અને વજીર નાટક જોવા ઉભા રહ્યા.
પડદો ઉપડતાં નાટક શરૂ થયું. અલી કોજીયા અખરોટની બરણી શાહુકારને ત્યાં મૂકવા આવ્યો. શાહુકારે કહ્યું: લે આ ચાવી, તારી મેળે વખારમાં એ મૂકી દે! અલી ત્યાં બરણી મૂકી હજ કરવા ગયો.
હજ કરી અલી સાત વરસે પાછો આવ્યો. આવીને તેણે શાહુકારને ત્યાં જૈ બરણી માંગી. શાહુકારે કહ્યું: લે આ ચાવી તારી મેળે વખારમાંથી લઇ આવ! બરણી લઇ અલી ઘરે ગયો.
પછી અલીએ કાજીને ફરિયાદ કરી કે, મારી બરણીમાંથી એક હજાર સોનામહોરો ચોરાઇ ગઇ છે. કાજીએ શાહુકારને બોલાવી તેની જુબાની લીધી. શાહુકારે બરણી ઉઘાડ્યાનો સાફ ઇન્કાર કર્યો એટલે કાજીએ અલીને કહ્યું: અલી, અખરોટની બરણી અહીં હાજર કરો. અલી એ તરત બરણી લાવી હાજર કરી.
કાજીએ તેમાંથી અખરોટ હાથમાં લઇ ધારીધારીને જોયાં. જરા સૂંઘ્યાં. એક બે ફોડીને ખાધાં ધીરેથી કહ્યું: અરે, હું નથી ધારતો કે સાત વરસ સુધી અખરોટ આવાં સારાં રહી શકે. ચાલો, હું ગામના બે વેપારીઓનો અભિપ્રાય લઇ જોઉ. આમ કહી તેણે સિપાઇને બજારમાં મોકલી અખરોટના બે વેપારીઓને તેડાવી મંગાવ્યા.
કાજીએ વેપારીઓને પૂછયું; અખરોટ એવા ને એવા કેટલાં વરસ સુઘી રહી શકે ?
વેપારીઓએ કહ્યું: બહુ તો બે વરસ.પછી તેનો રંગ ને સ્વાદ ફરી જાય ! કાજીએ તેમને બરણી આપી કહ્યું; ઠીક તો લો આ અખરોટ જૂઓ, ને એ કેટલાં વરસ જૂનાં છે તે કહો !
વેપારીઓએ બરણી ઠાલવી, તેમાંનાં અખરોટના બે ભાગ પાડયા. પછી બંને ઢગલી વારાફરતી બતાવી કહ્યું; કાજીસાહેબ, આ અખરોટ જૂનાં છે, સાતેક વરસનાં અને આ બિલકુલ નવાં છે, આ જ વરસનાં! કાજીએ કહ્યું; હેં આ શું કહો છો તમે? આ શાહુકાર તો કહે છે કે સાત વરસ પહેલાં અલી કોજિયા બરણીમાં આ અખરોટ ભરીને એની વખારમાં મૂકી ગયો હતો. વચમાં કોઇએ એ બરણી ઉઘાડી નથી! કેમ ખરું ને શાહુકાર ? શાહુકારે માથું ઘુણાવી હા કહી. તરત કાજીએ કહ્યું: શું હા? હરામખોર ? બરણી કોઇએ ઉઘાડી નથી તો આ નવાં અખરોટ કયાંથી આવ્યા? કોણે મુકયાં? સાચુ બોલ ! આમ કહી તેણે શાહુકારને ફટકારવા માંડયો. પાંચસાત ફટકા પડતામાં તો શાહુકારે કબૂલ કરી દીઘું: મેં બરણીમાંથી એક હજાર સોનામહોર કાઢી લઇને આ નવાં અખરોટ મૂકયાં છે. કાજીએ હુકમ કર્યો; આ જૂઠા શાહુકારને અત્યારે ને અત્યારે શૂળીએ ચડાવી દો. નાટક પૂરું થયું. છોકરાઓએ આનંદમાં આવી જોરથી તાળીઓ પાડી. આ જોઇ બાદશાહ છક થઇ ગયો. તેની પાસે આજે અલી કોજિયાની અરજી આવી હતી. તેમાં સાક્ષીપુરાવાના અભાવે કાજીએ મહોરો કાઢી લેનાર શાહુકારને છોડી મૂકવાનું જણાવ્યું હતું. જયારે આ નાના છોકરાએ પોતાના બુદ્ધિ બળે તેને ગુનેગાર તરીકે સાબિત કર્યો હતો. બાદશાહે વજીરને કહ્યું; કાજીનો પાઠ ભજવનારા આ છોકરાને કાલે દરબારમાં બોલાવી લાવજો, એની પાસે જ અલી કોજિયાનો ન્યાય કરાવીએ.
પેલા શાહુકારને પણ હાજર કરજો, અલીને પણ તેની અખરોટની બરણી લેતાં આવવાનું કહેવડાવજો. પછી છોકરાની બુદ્ધિની મનમાં તારીફ કરતો કરતો બાદશાહ મહેલે ગયો. બીજે દિવસે દરબાર ભરાયો અલી કોજિયા અને શાહુકાર હાજર થયા. વજીર પણ પેલા છોકરાને તેડીને આવ્યો. બાદશાહ તેને પોતાના આસન પર જગા કરી આપીને બેસાડયો ને કહ્યું; કાલે રાતે તેં અલી કોજિયાનો ન્યાય કર્યો હતો એ જોઇને હું ખુશ થયો છું. હવે એવો ન્યાય અહીં કર! જો આ રહ્યો અલી કોજિયા ને પેલો બેઠો શાહુકાર. છોકરો પહેલાં તો શરમાઇ ગયો, પણ તરત તેણે ટટ્ટાર થઇને કહ્યું; જેવો હુકમ! પછી તેણે અલી કોજિયાને પૂછ્યું; બોલ, તે શાની બરણી શાહુકારને ત્યાં મૂકી હતી? અલીએ કહ્યું; અખરોટની, પણ તેમાં મેં એકહજાર સોનામહોરો મૂકી હતી. હજ કરીને આવ્યો ત્યારે મહોરો ગુમ ને બરણીમાં એકલાં અખરોટ ભરેલાં હતાં. છોકરાએ હસીને કહ્યું; બસ ત્યારે તને તારાં અખરોટ તો પાછા મળ્યાં છે ને ? અલીએ કહ્યું; પણ મારી જિંદગીની થાપણ-મારી એક હજાર સોનામહોરો- વચમાં જ છોકરાએ શાહુકારને પૂછ્યું; કહો, શાહુકાર તમારે આ બાબતમાં શું કહેવાનું છે ? શાહુકારે કહ્યું; અલી સાત વરસ પહેલાં અખરોટની બરણી મારે ત્યાં મૂકી ગયો હતો. જાતે વખારમાં મૂકી ગયો હતો ને જાતે લઇ ગયો હતો. વચમાં કોઇએ એ ઉઘાડી નથી, કોઇ એને અડકયું નથી. છોકરાએ હસીને પૂછ્યું; તમે એનાં અખરોટ તો પાછા આપ્યાં છે ને ? શાહુકારે આનંદમાં આવી જઇ કહ્યું; હા, જી, પૂરેપૂરાં એક પણ ઓછું થયું હોય તો કહે! છોકરાએ કહ્યું; ઠીક, તો લાવો એ બરણી. મારે બઘી ખાતરી કરવી પડશે. તરત અલીએ બરણી રજૂ કરી. પછી છોકરાએ બાદશાહને કહ્યું; અખરોટના બે વેપારીઓને બોલાવી મંગાવો. બાદશાહે સિપાઇને મોકલી બજારમાંથી બે વેપારીઓને તેડાવી મંગાવ્યા. છોકરાએ તેમને બરણી આપીને કહ્યું; આ અખરોટ જૂનાં છે, સાત-આઠ વરસના. બીજો ભાગ બતાવીને કહ્યું; આ તદ્દન નવાં છે, આ જ વરસના. તરત છોકરાએ કહ્યું; અલી, તું કહે છે ને કે તારાં અખરોટ તને પાછા મળ્યાં છે ? પણ એય તને કયાં મળ્યાં છે? પછી શાહુકાર સામે જોઇ તેણે કહ્યું; શાહુકાર, તમે કહો છો ને કે બરણી તમારે ત્યાં કોઇએ ઉઘાડી નથી? તો આ નવાં અખરોટ કયાંથી આવ્યાં? કોણે મૂકયાં? શાહુકાર કાંઇ જ જવાબ ન આપી શકયો. એટલે છોકરાએ બાદશાહને કહ્યું; નામદાર, ગુનેગાર આ રહ્યો. હવે આપે જે શિક્ષા કરવી હોય તે કરો. આખી સભા આ જોઇ દંગ થઇ, સૌ છોકરાની બુદ્ધિનાં ભારોભાર વખાણ કરવા લાગ્યા. પછી બાદશાહે શાહુકારની માલમિલકત જપ્ત કરી તેને દેશનિકાલની સજા કરી. અલી કોજિયાને તેની એકહજાર સોનામહોરો પાછી આપી. છોકરાને પણ સો સોનામહોરો ઇનામમાં આપી તે વખતે પાસે બેઠેલા કાજીને કહ્યું; ઇન્સાફ કેવી રીતે કરવો તે આ છોકરા પાસેથી શીખો. આખા રાજયમાં હારુન-અલ-રશીદના અદલ ઇન્સાફની વાહવાહ બોલાઇ.
-સૌજન્ય: સસ્તું સાહિત્યવર્ઘક કાર્યાલય પ્રયોજક: શિવલાલ જેસલપુરા