Wednesday, April 27, 2011

રાજકુમાર અને બ્રહ્મકુમાર

શુધ્ધચૈતન્ય સ્વામી દયાનંદને ગૃહત્યાગ અને વૈરાગ્યના માર્ગ પર ફરી વાર ચાલવા માટે વિશેષ કુશળતા તથા અનેક કષ્ટો સહન કરવાં પડ્યાં હતાં. જ્યારે કપિલવસ્તુના યુવરાજ શાક્યસિંહ-સિદ્ધાર્થને ગૃહત્યાગ અને વૈરાગ્યના માર્ગ પર એવા કષ્ટ નહોતાં સહન કરવાં પડ્યાં. ૨૯ વર્ષના રાજકુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગનો નિર્ણય કર્યો. ત્યારે પોતાના સારથી અને નોકર છંદક (છન્ન)ને અશ્વ તૈયાર રાખવા આજ્ઞા કરી હતી. ત્યારે તેનાં માતા-પિતા-પત્ની-પુત્ર-નોકર-ચાકર બધાં મધરાત્રે નિદ્રામાં હતાં, ત્યારે તે રાજકુમાર ઊઠીને છંદક નામના નોકરને સાથે લઈને કોઈ અવરોધ વિના નીકળી ગયો હતો. તેની પ્રવ્રજ્યા માર્ગમાં કોઈ રોક-ટોકનો અવરોધ હતો નહિ જેથી ગૌતમ બુધ્ધનો પ્રવ્રજ્યા માર્ગ કંટકશૂન્ય હતો.

ટંકારાના બ્રહ્મકુમાર મૂળશંકર-દયાનંદનો ગૃહત્યાગ અને વૈરાગ્ય માર્ગ કંટકપૂર્ણ હોવા છતાં, અનેક અવરોધોની વચ્ચે પણ તે અટલ અને દ્રઢ રહ્યો હતો. તેણે તો ધરતીની પથારી, અંબરનું ઓઢણું, વિપદાઓનું દૂધપાન અને કંટકોના પથને કંડારીને પોતાના સંકલ્પનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. અમૃતની ખોજમાં એ અટલ રહ્યો હતો અને આગળ વધી રહ્યો હતો.

સાયલામાં મૂળશંકરને એક અજ્ઞાતનામા બહ્મચારી મળ્યો, તેણે નૈષ્ઠિક બહ્મચારી બનવાની પ્રેરણા આપી. તેના દ્વારા બ્રહ્મચર્યની દીક્ષા લઈને, ભગવાં વસ્ત્રો અને હાથમાં તુંબીપાત્ર ધારણ કર્યાં અને શુદ્ધચૈતન્ય એવું નામ ધારણ કર્યું. આથી મૂળશંકરમાંથી તે બ્રહ્મચારી શુદ્ધચૈતન્ય બન્યો.

લેખક : દયાલ મુનિ