Wednesday, April 27, 2011

જ્ઞાનપ્રાપ્તિ માટે ભણતર


શ્રી અરવિન્દે આઈ.સી.એસ. ની પરીક્ષા તો પાસ કરી લીધી. પણ હવે તેમને બ્રિટિશ સરકારની ગુલામી જેવી નોકરી કરવી ન હતી એથી સીધે સીધી ના પાડે તો તેમના પિતાજી નારાજ થાય માટે તેમણે યુક્તિ વાપરી. આઈ.સી.એસ. માટે જરૂરી એવી ઘોડેસવારીની પરીક્ષામાં જાણી જોઈને તેઓ ગેરહાજર રહ્યા. બીજીવાર તેમને તક આપવામાં આવી તો બીજીવાર મોડા પહોંચ્યા. આમ ઘોડેસવારીની પરીક્ષા ન આપવાથી બ્રિટિશ સરકારે એમને આઈ.સી.એસ.ની પદવી ન આપી ! સરકારે અગાઉ ઘણાંની ઘોડેસવારીની પરીક્ષા પાછળથી પણ લીધી હતી. પરંતુ શ્રી અરવિન્દે બ્રિટિશ સરકાર વિરુદ્ધ આપેલાં ભાષણની નોંધ લેવામાં આવી અને તેથી એમને પદવી ન આપી. બી.એ.ની પદવીમાં પણ એવું જ થયું. તેઓ એટલા બધા હોંશિયાર હતા કે બી.એ. ના ત્રણ વરસનો અભ્યાસ એમણે બે વરસમાં જ પૂરો કરી લીધો. બી.એ. ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ પણ થઈ ગયા. પણ યુનિવર્સિટીનો નિયમ એવો હતો કે ડીગ્રી તો ત્રણ વરસે જ મળે. બી.એ. ની ડીગ્રી લેવી હોયતો તેમણે એક વરસ વધુ રોકાવું પડે તેમ હતું પણ હવે સ્કોલરશીપો બંધ થઈ ગઈ. આવક બિલકુલ નહોતી. એટલે તેઓ લંડનમાં રોકાઈ શકે તેમ નહોતા. આથી તેમણે ડિગ્રી જતી કરી ! આમ પ્રથમ વર્ગમાં બી.એ. માં પાસ થવા છતાં તેમની પાસે બી.એ.ની ડિગ્રી પણ નહોતી. પરંતુ એમને ડિગ્રીનું તો કોઈ જ મહત્વ નહોતું. જ્ઞાન પ્રાપ્ત કરવા અભ્યાસ કરવો હતો અને તેમણે તે હેતુ બરાબર સિદ્ધ કર્યો.

લેખિકા: જ્યોતિબહેન થાનકી