Tuesday, January 12, 2010

“શું આપે ઈશ્વરને જોયો છે?”


“મહાશય, શું આપે ઈશ્વરને જોયો છે?”
પોતાની નૌકામાં એકાએક આતુરતાપૂર્વક વેગથી ધસી આવેલા અને ઉત્કંઠાથી પૂછી રહેલા નવયુવકની સામે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર અપલક નેત્રે જોઇ રહ્યા. મહાશય, શું આપે ઈશ્વરને જોયો છે? ઈશ્વરને જોવાની તીવ્રતમ ઝંખનાથી ભરેલા વ્યાકુળ હૃદયમાંથી ફરીથી એ જ પ્રશ્ન પુછાયો.
આવા એકાએક પૂછાયેલા પ્રશ્નથી સ્તબ્ધ બની ગયેલા મહર્ષિ તરફથી કોઇ ઉત્તર ન મળતાં ફરીથી ત્રીજી વાર યુવાને એ જ ઉત્કંઠાથી પ્રશ્ન પૂછ્યો, ત્યારે મહર્ષિએ તેને કહ્યું: “બેટા, તારી આંખો તો યોગીના જેવી છે.” “અરે, મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે આ તો મારી પ્રશંસા કરી રહ્યા છે! શું અનેક મહાત્માઓની જેમ આમની પાસે પણ મારા પ્રશ્નનો ઉત્તર નથી?” અને તેથી યુવાન જેટલી ત્વરાથી આવ્યો હતો, એટલી જ ત્વરાથી નૌકા છોડી ચાલ્યો ગયો. એ યુવાન હતા નરેન્દ્રનાથ દત્ત. કોલેજના પહેલા વર્ષમાં ભણતા હતા. ભક્તિમતી માતાએ આપેલા બાળપણના સંસ્કારોને પરિણામે એમના અંતરમાં ઈશ્વરના દર્શન કરવાની પ્રબળ ઈચ્છા જાગી હતી, પણ પછી પાશ્ચાત્ય કેળવણીના પરિણામે બુધ્ધિનો વિકાસ થતાં તેમના મનમાં ઈશ્વરના અસ્તિત્વ વિષે શંકા પણ જાગતી હતી. આથી ઘણા સાધુ- મહાત્માઓને તેમણે આ પ્રશ્ન પૂછ્યો હતો, પણ અત્યાર સુધી કોઇએ તેને કહ્યું નહોતું કે, ‘હા, મેં ઈશ્વરને જોયો છે.’ એ દરમિયાન તેણે સાંભળ્યું કે બ્રહ્મસમાજના અગ્રણી એવા દેવેન્દ્રનાથ ટાગોર સતત ધ્યાન અને ઉપાસનામાં જ મગ્ન રહેવા માટે ગંગાનદીમાં નૌકામાં જ રહે છે અને કોઇનેય મળતા નથી. એટલે તેના મનમાં આશા જાગી કે આવી ઉપાસના કરી રહેલા મહર્ષિએ તો જરૂર ઈશ્વરના દર્શન કર્યા હશે, એમ માનીને તેમને મળવા નૌકામાં પહોંચી ગયા, પણ ત્યાંથી નિરાશ થઇને પાછા ફર્યા. એક દિવસ કોલેજમાં અંગ્રેજીનો વર્ગ ચાલતો હતો. પ્રિન્સિપાલ વિલિયમ હેસ્ટી અંગ્રેજી ભાષાના મહાનકવિ વડ્ ર્ઝવર્થની એક્સકર્ઝન કવિતા સમજાવી રહ્યા હતા. તેમાં કુદરતી સૌંદર્ય જોતાં જોતાં તેમાં તદ્રુપ બની જતા સમાધિદશાના અનુભવની વાતનું વર્ણન કવિએ કર્યું હતું. ત્યારે કોઇએ પૂછ્યું કે, શું આવી સ્થિતિમાં કોઇ પ્રાપ્ત કરી શકે? તેના ઉત્તરમાં પ્રિન્સિપાલે સમજાવ્યું કે, “જો મન પવિત્ર અને એકાગ્ર હોય તો જરૂર આ સ્થિતિનો અનુભવ કરી શકાય. જો તમારે સાચી સમાધિ શું છે, એ નજરે જોવું હોય તો દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ રહે છે, તેમના દર્શન કરો. તેઓ આવી સમાધિમાં વારંવાર આવી જાય છે.” આ સાંભળીને નરેન્દ્રના મનમાં ઝબકારો થયો કે આવા મહાત્માના દર્શન કરવા અને પોતાના પ્રશ્નનો ઉત્તર એમની પાસેથી મેળવવો. અને એક દિવસ તેઓ દક્ષિણેશ્વર પહોંચી ગયા ત્યારે શ્રી રામકૃષ્ણ એમના ઓરડામાં ભક્તોની સાથે બેઠા હતા. તેમણે નરેન્દ્રને બેસવા કહ્યું અને પછી ભજન ગાવાનું કહ્યું. પોતાના સુંદર કંઠે ‘મન ચલો નિજ નિકેતને’ એ ભજન ગાયું. તેમાં એવો તો ભાવ હતો કે શ્રી રામકૃષ્ણ સમાધિમાં ચાલ્યા ગયા. નરેન્દ્રે સમાધિની આ સ્થિતિ પોતાની નજરે જોઇ ત્યારે થયું કે એના પ્રિન્સિપાલે સાચું જ કહ્યું હતું. પછી તો શ્રી રામકૃષ્ણ તેને ઓરડાની બહાર લઇ ગયા અને તેની સાથે ઘણી વાતો કરી. નરેન્દ્ર પણ શ્રી રામકૃષ્ણનું નિરીક્ષણ કરતા રહ્યા. પછી હૃદયમાં અત્યાર સુધી સળગતો રહેલો પ્રશ્ન પૂછી જ નાંખ્યો. “મહાશય, શું આપે ઈશ્વરને જોયો છે?” અને એમના આશ્ચર્ય વચ્ચે જવાબ મળ્યો “હા, મેં ઈશ્વરને જોયો છે, અને જેવી રીતે હું તને જોઉં છું, તેવી જ રીતે ઈશ્વરને પણ જોઉં છું.” આ સાંભળીને નરેન્દ્ર સ્તબ્ધ બનીને શ્રી રામકૃષ્ણને જોઇ જ રહ્યા હતા. તેમણે જોયું કે એ વાણીમાં કોઇ દંભ નહોતો. પ્રભાવ પાડવાની કોઇ વૃત્તિ નહોતી. એ તો સાવ સરળ રીતે બોલી રહ્યા હતા. ત્યાં તો રામકૃષ્ણે આગળ કહ્યું, “જેવી રીતે હું તને જોઉં છું અને તારી સાથે વાત કરૂ છું, એ જ રીતે ઈશ્વરની સાથે પણ વાત કરી શકાય.” આ વળી સાવ નવી જ વાત નરેન્દ્રે સાંભળી! અહીં તો ભગવાનને જોવાની કે એમના દર્શન કરવાની જ વાત નથી પણ એમની સાથે વાત પણ કરી શકાય એ વાત છે! આશ્ચર્ય અનુભવતા નરેન્દ્ર બધું સાંભળતા રહ્યા. “હા, ઈશ્વરની સાથે વાત જરૂર કરી શકાય, પણ એવી દરકાર કોણ કરે છે? લોકો સ્ત્રી, પુત્ર, ધન, સંપત્તિ માટે આંસુની નદીઓ વહેવડાવે છે, પણ ઈશ્વરને માટે કોણ એમ કરે છે? જો કોઇ મનુષ્ય સાચા દિલથી આંસુ સારે તો એને ઈશ્વરના દર્શન અવશ્ય થાય.” આ વાક્યોની નરેન્દ્રના મન ઉપર ભારે અસર થઇ. જાણે આ જ વાણીને સાંભળવા તેનું હૃદય વર્ષોથી ઝંખી રહ્યું હતું. તેમને થયું કે “આખરે જીવનમાં પહેલી વાર મને એક એવો મહાપુરૂષ મળ્યો કે જે હિંમતભેર કહી શકે કે હા મેં ઈશ્વરને જોયો છે.” પછી તો શ્રી રામકૃષ્ણની પવિત્રતા, સચ્ચાઈ, ત્યાગ અને ઈશ્વરની સાથેની તન્મયતાથી પ્રભાવિત થઇને નરેન્દ્રનાથ શ્રી રામકૃષ્ણના વધુને વધુ સંપર્કમાં આવતા થયા અને તેમણે આવા પરમપુરૂષના ચરણોમાં પોતાનું સંપૂર્ણ સમર્પણ કરીને તેમને ગુરૂ તરીકે સ્વીકાર્યા. તો શ્રી રામકૃષ્ણે પણ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા વિશ્વકલ્યાણ માટે નરેન્દ્રનાથમાંથી વિવેકાનંદનું સર્જન કર્યું.

જ્યોતિ થાનકી