Monday, January 11, 2010

અગ્રલેખ

૧૨ જાન્યુઆરી ભારતનો યુવા દિન છે. અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઇટનું
ઉદ્ ઘાટન આ મહત્વપૂર્ણ દિવસે થાય એવો નિર્ણય લેવાના બે કારણો છે:
પ્રથમ તો એ છે કે ૧૨મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. અને સ્‍વામી વિવેકાનંદ ભારતના અને નવયુગના એક ઉત્‍તમ યુવાનેતાના રૂ૫માં સ્‍થા‍પિત થયા છે. આપણા બાળકો સ્વામી વિવેકાનંદને વિષે કંઇ વિશિષ્ટ રીતે સમજે અને તેમના સંદેશનું વહન કરે એ અત્યંત મહત્વનું છે. સ્વામી વિવેકાનંદની સત્યની શોધ, તેમની વૈજ્ઞાનિક અને અનુભવપરક, પ્રમાણિત જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રતિભા, તેમની ક્રિયાશીલતા, તેમની નીડરતા, તેમનું યુવાચ્છાદિત શૌર્ય, તેમની વિશ્વ એકતાનું દર્શન અને શિકાગોમાં આપણા ભારતનો ઉચ્ચતમ સંદેશ આપીને ભારતનું ગૌરવ જે રીતે વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કર્યું,- આ બધાં એમના વ્યક્તિત્વના પાસાને સમજવા તે ઘણી અગત્યતા ધરાવે છે. બીજું કારણ એ છે કે સ્વામી વિવેકાનંદે ભારતની નવજાગૃતિમાં અને નવનિર્માણમાં ઐતિહાસિક દ્રષ્ટિએ જે ભાગ ભજવ્યો છે અને તેનો અમૂલ્ય વારસો આપણને મળેલ છે તે વિષે બાળકોમાં અને યુવાવર્ગમાં ફરીથી સમજાય તે પણ ઘણું જ અગત્યનું છે. તેની પણ અનિવાર્ય આવશ્યકતા છે. આ બંને કારણોને કંઇક અંશે ન્યાય આપી શકાય તેવો પ્રયત્ન આ વેબસાઇટના ઉદઘાટન સમયે કરવામાં આવેલો છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એ આપણા ગુજરાતની એક હાલમાં સ્થપાયેલી અદ્વિતીય સંસ્થા છે. સ્વર્ણિમ ગુજરાતના ઉત્સવના ઉંબરે જ એક અણમોલ ભેટ તરીકે આપણને મળેલી છે. આ સંસ્થા માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં અપૂર્વ છે. આ સંસ્થા વિષે,- એના ઉદ્દેશો અને એના કાર્યક્રમો અને ભાવિમાં જે સેવા આ યુનિવર્સિટી બાળકોને આપી શકશે તે વિષે વિસ્તૃત માહિતી આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવેલો છે.
તદુપરાંત આ વેબસાઇટ ઉપર કયા-કયા વિષયો વિષે સામગ્રી આપવામાં આવશે તેની પણ પ્રવેશાત્મક સૂચના આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.
આ વેબસાઇટ ઉપર જે વિષયો વિષે ચર્ચા કરવામાં આવશે તે વિષયોના સર્વ નિષ્ણાતોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે કે, તેમના વિચારો, તેમની પાસે રહેલી સામગ્રી, બાળકો અને યુવાનોને ઉપયોગી થાય તેવા વિચારો અને વિવેચનો પણ આ વેબસાઇટના તંત્રીને મોકલે. આ રીતે વેબસાઇટ સમૃધ્ધ બનશે અને બાળકોને, યુવાવર્ગને, માતાપિતાને, નાગરિકોને, શિક્ષકોને અને શિક્ષણવિદોને પણ મદદરૂપ થશે.
- જયંતી એસ.રવિ